હ્યુ-એન સાંગ

વર્ણાશ્રમ ધર્મ દ્વારા ચાર વર્ણોથી સમાજરચના થઈ હતી અને ચાર આશ્રમોથી વ્યક્તિના જીવનની વ્યવસ્થા થઈ હતી. ચાર આશ્રમોમાં 57મા વર્ષે વાનપ્રસ્થ અને 75મા વર્ષે સંન્યાસ ગ્રહણ કરવાની વ્યવસ્થા વ્યાવહારિક ન હોવાથી ચાલી શકી નહીં. મોટા ભાગે શ્રમણકાળના ઉદય પૂર્વે સુધી ઋષિવ્યવસ્થા હતી. સર્વોચ્ચ શિખર ઉપર ઋષિઓ હતા. સંન્યાસી ખાસ દેખાતા નહીં. પણ પછી બુદ્ધ—મહાવીરથી શ્રમણકાર્ય શરૂ થયાં. આ કાળમાં વર્ણવ્યવસ્થા શિથિલ થઈ ગઈ. અને વ્યક્તિના જીવનને ચારની જગ્યાએ બે ભાગમાં વિભક્ત કર્યું : 1. ગૃહસ્થ અને 2. સાધુ. બંને ફરજિયાત નહીં. ગૃહસ્થ ન થવું હોય તો સીધા જ નાની ઉંમરથી જ સાધુ થઈ જવાય. અને સાધુ ન થવું હોય તો જીવનભર ગૃહસ્થ રહેવાય. આમ ચારમાંથી બે વ્યવસ્થાઓ થઈ. તેમાં જૈનોના સાધુઓ ચાતુર્માસ સિવાય સતત ભ્રમણ કરતા હોવાથી નાના સાધુઓનું ભણવાનું કઠિન બન્યું. તોપણ તેમનામાં ઘણા મહાન વિદ્વાનો થયા. જ્યારે બૌદ્ધ સાધુઓને સતત ભ્રમણ કરવાનું ન હોવાથી તેમણે મઠો બનાવ્યા અને તે મઠોમાં મોનેસ્ટ્રીઓ બનાવી. અર્થાત્ નાના અને યુવાન સાધુઓને તેમાં રાખીને શાસ્ત્રાધ્યયન કરાવવાનું થયું. નાલંદા બૌદ્ધકાળની દેન કહી શકાય. આવી મોટી વિશ્વપ્રસિદ્ધ વિદ્યાપીઠ જૈનો નથી આપી શક્યા.

આ રીતે ત્યારે અને અત્યારે પણ બૌદ્ધોમાં બાળદીક્ષાનું પ્રમાણ બહુ મોટું રહ્યું છે. તેનું મોટું જમાપાસું એ કહેવાય કે તેમણે બાળભિક્ષુઓને મોનેસ્ટ્રીમાં રાખીને ભણાવવાની વ્યવસ્થા કરી હતી. એક સમય તો એવો પણ હતો કે ત્રણ બાળકોમાંથી વચેટ બાળકને ભિક્ષુ બનાવવો જ પડે. આથી તેમના ત્યાં ભિક્ષુ-ભિક્ષુણીઓનાં બહુ મોટાં ટોળાં થયાં. ટોળાં તો જૈનોનાં પણ થયાં પણ તે સતત ભ્રમણ કરતાં રહ્યાં.

(more…)