શ્યામજી કૃષ્ણ વર્મા

કચ્છની ધરતીનો મોટો ભાગ રણવિસ્તાર છે. રણ પણ સૂકું રણ. કશું થાય નહિ. જે ધરતી સૂકી હોય છે અને જ્યાં રોજીઓ નથી હોતી ત્યાંની પ્રજા આપોઆપ સ્થળાંતર કરતી હોય છે. જે સ્થળાંતર કરે છે તેનો જ વિકાસ થાય છે, જે બેસી રહે છે તેનું ભાગ્ય પણ બેસી જાય છે. કચ્છમાં માંડવી નામનું બંદર, આ બંદરની સિત્તેર ટકા પ્રજા આજે પણ મનીઓર્ડર ઉપર જીવન જીવે છે. તેમના પરિવારના યુવાનો દેશ-વિદેશમાં નોકરીધંધો કરતા હોય અને વડીલો ઘર સાચવતા હોય, તેમને દર મહિને મનીઓર્ડર કરે. જોકે હવે ઘણું પરિવર્તન થયું છે.

4-10-1857માં જ્યારે ઉત્તરભારત વિદ્રોહથી ધણધણી રહ્યો હતો ત્યારે માંડવીમાં શ્રી કૃષ્ણજીનો જન્મ થયો હતો. તેમનો પરિવાર સામાન્ય હતો, પણ શ્યામજી બચપણમાં જ સંસ્કૃતના શ્લોકો એટલા શુદ્ધ અને મીઠા સ્વરે બોલતા કે લોકો આશ્ચર્યચકિત થઈને સાંભળ્યા કરતા. તેમનાથી પ્રભાવિત થઈને એક શ્રીમંત પુરુષ તેમને મુંબઈ લઈ ગયા. દ્વિતીયાના ચંદ્રનાં દર્શન બધાંને નથી થતાં. પૂનમના ચંદ્રને બધા જોઈ શકે છે. જીવનમાં પણ જે બાળકો ભવિષ્યમાં મહાન થવાના હોય છે તેમને ઘણા લોકો ઓળખી નથી શકતા. કારણ કે તે દ્વિતીયાનો ચંદ્ર હોય છે. પણ કોઈ રડ્યોખડ્યો માણસ દ્વિતીયાના ચંદ્રને ઓળખી શકતો હોય છે. (more…)