પંચપ્યારા અને ખાલસા

“રહિણીરહૈ સોઈ સિક્ખ મેરા, ઉહ ઠાકુર મૈં ઉસકા ચેરા।” -ગુરુ ગોવિંદસિંહજી

હિન્દુ પ્રજા નવરાત્રીની આઠમને ધૂમધામથી ઊજવે છે. પૂર્વ ભારતમાં તો દુર્ગાપૂજાની ધૂમ મચતી હોય છે. એક કર્મકાંડી પંડિતે ગુરુજીને કહ્યું કે જો તમે અમુક પ્રકારનો યજ્ઞ કરો તો દુર્ગાજી પ્રસન્ન થાય અને તમારી ધારેલી ઇચ્છા પૂરી થાય. બધા યુદ્ધોમાં વિજય મળે.

ગુરુજીએ યજ્ઞ કરવાનું સ્વીકારી લીધું. આનંદપુરથી થોડે દૂર એક પર્વત ઉપર આવેલા નયનાદેવીના મંદિરમાં આ ભવ્ય યજ્ઞ કરવાનું આયોજન થયું. મોટો વિશાળ યજ્ઞકુંડ નિર્મિત થયો. ચારે તરફ તંબૂઓ લાગી ગયા. ગુરુજી પોતે પણ ત્યાં વસવા લાગ્યા. યજ્ઞ શરૂ થઈ ગયો. મુખ્ય આચાર્યનો દાવો હતો કે યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે માતાજી પ્રગટ થશે અને તમને દર્શન આપીને વિજય વરદાન આપશે. કહેવાય છે કે એ સમયમાં આ યજ્ઞ પાછળ બે લાખ રૂપિયા ખર્ચ થયો હતો. કહેવાય છે કે યજ્ઞ પૂરો થયો પણ માતાજી પ્રગટ ન થયાં. ગુરુજીએ મુખ્ય આચાર્યને કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે “જ્યાં સુધી એક પવિત્ર માણસ આ યજ્ઞમાં પોતાનું બલિદાન નહિ આપે ત્યાં સુધી માતાજી પ્રગટ થશે નહિ.” પંડિતજીનો ઉત્તર સાંભળીને ગુરુજીએ કહ્યું કે “એવો પવિત્ર પુરુષ તો આપ જ છો. બીજો તો કોઈ દેખાતો જ નથી.” પંડિતજીને આશા હતી કે આવો માણસ મળશે નહિ અને પોતે જવાબદારીમાંથી છટકી જશે પણ ગુરુજીએ તો તેમને જ પકડમાં લઈ લીધા. હવે શું કરવું? પંડિતજીએ કહ્યું કે “હું નદીમાં સ્નાન કરીને આવું છું” આટલું કહીને તે સ્નાન કરવા ગયા તે ગયા. પાછા આવ્યા જ નહિ. ગુરુજીએ ભેગાં થયેલા હજારો ભક્તોને કહ્યું કે “આપણે એક અલખ કિરતારમાં માનનારા છીએ. આપણે આ હોમહવન કરતા નથી. તમારી સૌની સ્પષ્ટતા કરવા માટે મેં આ આયોજન કર્યું હતું. હોમ-હવન કરવાથી વિજય નથી મળતો. વિજય તો પરાક્રમથી મળતો હોય છે. આ બધા કર્મકાંડો આજીવિકાભોગી પુરોહિતોએ ઊભાં કર્યાં છે. તેમાંથી છૂટો અને અલખની આરાધના કરો.”
(more…)