હિંદુ પ્રજાના ઉકેલ માગતા ચાર પ્રશ્નો – (૧)

[ અસંખ્ય સંપ્રદાયો, પંથો, પરિવારો અને મંડળોમાં વહેંચાયેલી પ્રજા ઈશ્વરની જગ્યાએ કોઈ વ્યક્તિની પૂજા કરે છે અને ધર્મની જગ્યાએ ધર્માભાસનું સેવન કરે છે. પ્રજાને જરૂર છે ઈશ્વરના એકીકરણની. હજારો દેવી દેવતા અને ઈશ્વરોમાં જ નહિ પણ વ્યક્તિપૂજામાં વહેચાયેલી ગુમરાહ પ્રજાને એકેશ્વરનિષ્ઠામાં સ્થિર કરવાની જરૂર છે. પ્રજાને જરૂર છે સમાનતા અને સમતા આપનારા માનવતાવાદી ધર્મની.  હવે તો નિષ્ક્રિયતાને ખંખેરીને સૌ કોઈ પોતાના જ ભવિષ્યને સુધારવાના કામે લાગે. – સ્વામી સચ્ચિદાનંદ

‘હવે તો જાગીએ’ પુસ્તકની ભૂમિકા માંથી. ]

 

૧. વર્ણવ્યવસ્થા

હિંદુ પ્રજા માટે તત્કાળ ઉકેલ માગનારા ચાર પ્રશ્નો છે: (૧) વર્ણવ્યવસ્થા, (૨) સેંકડો સંપ્રદાયો, પંથો, પરિવારો અને મંડળો, (૩) વ્યક્તિપૂજા અને (૪) ધાર્મિક સંપત્તિ તથા આવકનો સદુપયોગ.
વર્ણવ્યવસ્થા ઉપર મેં સ્વતંત્ર એક પુસ્તક જ લખ્યું છે. આ વ્યવસ્થાથી કેટલી મોટી હાનિ થઇ છે તથા થઇ રહી છે, તેનો આછો ખ્યાલ આ પુસ્તક વાંચનારને આવ્યા વિના રહેશે નહિ એટલે અહીં તેનું પુનરાવર્તન કરવું યોગ્ય નથી, પણ હજી પણ જવાબદાર માણસો આ વ્યવસ્થાને વળગી રહેવા, તેનો બચાવ કરવા મરણિયો પ્રયાસ કરી રહ્યા છે. આ વર્ણવ્યવસ્થાનું સંપૂર્ણ વિસર્જન કરી દેવાયું છે, તેવી જવાબદાર માણસો તથા સંસ્થાઓ તરફથી જાહેરાત થઇ નથી. એક તરફ વર્ણવ્યવસ્થા અને તેના ચુસ્ત પોષક ગ્રંથોને ધર્મગ્રંથો તરીકે ચાલુ રાખવા અને બીજી તરફ પછાત વસ્તી બીજા ધર્મોમાં ન ચાલી જાય તે માટે એકતાના નારા આપવા તે પ્રશ્નનો સાચો ઉકેલ નથી, પણ પ્રશ્ન ઉપર ધૂળ નાખી પ્રશ્નને સંતાડી દેવાની ચાલાકી માત્ર છે.
વર્ણવ્યવસ્થા જ્યાં સુધી બ્લૂપ્રિન્ટ રહેશે ત્યાં સુધી ઉપર ઉપરથી કરેલા સુધારાના પ્રયત્નો ક્ષણિક, અલ્પજીવી અને પ્રભાવહીન જ રહેવાના. પ્રતિદિનસેંકડો માણસો બીજા ધર્મોમાં તણાય જાય છે, તેનું કારણ માત્ર આર્થિક લાલચ જ નથી, જો આર્થિક લાલચથી જ ધર્માંતર થતું હોય તો એ જ શસ્ત્ર વાપરીને પોતાના ભાઈઓને ધર્માન્તરિત થતા રોકી શકાવા જોઈએ તથા નવાને લાવી શકાવા જોઈએ. હિંદુ પ્રજા બહુ મોટા પ્રમાણમાં ધાર્મિક ક્ષેત્રમાં પૈસો વાપરે છે. કુંભમેળાઓ, યજ્ઞો, સપ્તાહો, રાજભોગો, સમૈયાઓ અને એકની એક જગ્યાએ પરસ્પરની સ્પર્ધામાં ભવ્ય મંદિરો તથા સમાધિઓ બાંધવા પાછળ લાખ્ખો નહિ કરોડો રૂપિયા તે પાણીની માફક વહાવે છે. બીજા ધર્મોની માફક આમાંથી માત્ર દશ ટકા પૈસા પણ જો દુખિયારા માણસો તરફ વાળવામાં આવે તો એક તો ધર્મ દીપી ઊઠે અને બીજી તરફ માત્ર લાલચના કારણે જ થનારું ધર્માંતર અટકી શકે. બહુ મોટા પાયા ઉપર આવું કામ કેમ નથી થતું?
(more…)