સરદાર ઉધમસિંહ

જે વ્યક્તિ કે પ્રજા અન્યાય-અત્યાચારનો સામનો કરતી નથી અથવા બદલો લેતી નથી તે વારંવાર અન્યાય-અત્યાચારનો ભોગ બનતી રહે છે. પ્રાચીન કાળમાં અન્યાય-અત્યાચાર કરનારાઓને રાક્ષસ કે દૈત્ય કહેવાતા હતા. જો પ્રાચીન કથાઓ સત્ય હોય તો ભારતભૂમિ ઉપર પહેલાં ઘણા રાક્ષસો કે દૈત્યો રહેતા હતા અને તેમનાથી આર્ય પ્રજા ભારે ત્રસ્ત હતી. આ ત્રાસથી ત્રાણ મેળવવા દુખિયારા લોકો ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરતા રહેતા. જે કામ પોતાના પુરુષાર્થથી ન થઈ શકે તે કામ પૂરું કરવા પ્રાર્થના સહાયક બને છે. જો બધાં જ કાર્યો પોતાના પુરુષાર્થથી થઈ જતાં હોત તો પ્રાર્થનાની જરૂર રહેત નહિ. પણ માણસની સીમા છે. તે ગમે તેટલો સમર્થ હોય તોપણ સીમા બહારનું કામ કરી શકતો નથી. માનવીય સીમા વ્યક્તિ દીઠ અલગ-અલગ હોય છે. તેની ક્ષમતાની દૃષ્ટિએ માણસ-માણસ એકસરખા નથી હોતા. ઉત્તમ પ્રજા તે કહેવાય, જે પોતાની સર્વોચ્ચ ક્ષમતાવાળી યોગ્ય વ્યક્તિને નેતા બનાવે. જે પ્રજા પોતાના સર્વોચ્ચ યોગ્ય ક્ષમતાવાળા નેતાની ઉપેક્ષા કરીને જાતિ, વર્ણ કે પરિવારના મોહમાં અધમ કક્ષાના માણસને નેતા બનાવે છે તે પોતે જ પોતાના ભવિષ્યને અંધકારમય બનાવતી રહે છે.

ધર્મ અન્યાય-અત્યાચાર કરવાનું ન શિખવાડે; છતાં એ પણ સત્ય છે કે ધર્મના નામે પારાવાર અત્યાચારો થયા છે અને થઈ રહ્યા છે. પણ ધર્મ અન્યાય-અત્યાચારનો સામનો કરવાનું તથા અત્યાચારીને દંડ દેવાનું તો જરૂર શિખવાડે. જો ધર્મ આટલું પણ ન શિખવાડે તો પ્રજા જેમજેમ વધુ ને વધુ ધર્મનું પાલન કરતી થાય તેમતેમ વધુ ને વધુ અત્યાચારનો ભોગ બનતી જાય. ધર્મથી પ્રજામાં ન્યાય, દયા, કરુણા, ઉદારતા, સેવા વગેરે ઘણા સદ્ગુણો આવતા હોય છે, પણ આ ગુણોની સાથે પરાક્રમ અને શૌર્ય જેવા મુખ્ય ગુણ પણ ધર્મથી જ આવતા હોય છે. જો ધર્મ દ્વારા પરાક્રમ અને શૌર્યનો ગુણ ન આવે અને તેના બદલે ડહાપણભરી કાયરતા આવે તો સમજવું કે ધર્મ પ્રજાને માર ખાતી કરી દેશે. માર ખાતી પ્રજા કદી ખુમારીવાળી ન હોય. અને ખુમારી વિનાનું જીવન સોનેમઢ્યું હોય તોપણ વિધવા સ્ત્રી જેવું લાચાર અને ઓશિયાળું હોય.
(more…)