સુભાષચંદ્ર બોઝ

તે વખતના રાષ્ટ્રિય નેતાઓનો પિરામિડ બનાવીએ તો એક પિરામિડના શિખર ઉપર ગાંધીજી સ્થાપિત થાય તો બીજા પિરામિડના શિખર ઉપર સુભાષચંદ્ર બોઝ જ સ્થાપિત થાય. બન્ને મહાન હતા. તેમાં શંકા નહિ, એકને સફળતા મળી, બીજાને સફળતા ન મળી. માત્ર સફળતા-નિષ્ફળતાથી જ કર્મનું મૂલ્યાંકન ન થઈ શકે. કેટલીક વાર સફળતા બાયચાન્સ મળી જતી હોય છે, તો કેટલીક વાર છેક કિનારે પહોંચેલું જહાજ ડૂબી જતું હોય છે. સુભાષબાબુનું હુલામણું નામ “નેતાજી” હતું. તેથી આપણે પણ હવે તેમને નેતાજીના નામથી જ જાણીશું. આ બે પિરામિડ સિવાય બીજા પણ બે પિરામિડો હતા જે ભારતના રાજકારણને પ્રભાવિત કરી રહ્યા હતા. એકના શિખર ઉપર મોહમ્મદઅલી ઝીણા હતા તો બીજાના શિખર ઉપર વીર સાવરકર હતા. ઝીણા માત્ર મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરતા હતા તો સાવરકરજી હિન્દુ મહાસભાના દ્વારા હિન્દુઓનું નેતૃત્વ કરી રહ્યા હતા. કોંગ્રેસના દ્વારા ગાંધીજી પૂરી પ્રજાનું નેતૃત્વ કરી રહ્યા હતા તો નેતાજી પણ “ફોરવર્ડ બ્લોક” અને “આઝાદ હિન્દ ફોજ”ના દ્વારા કશા જ તુષ્ટિકરણ વિના પૂરી પ્રજાનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ ચારમાંથી બે ગુજરાતી હતા અને બન્નેને સફળતા મળી હતી. એકને ભારત મળ્યું હતું તો બીજાને પાકિસ્તાન મળ્યું હતું. ઇતિહાસ વિજયનો જ લખાતો હોય છે અને ન્યાય પણ વિજયના પક્ષ તરફ ઝૂકેલો રહેતો હોય છે. આપણે થોડી ચર્ચા નેતાજીની કરવા જઈ રહ્યા છીએ.
(more…)