શિવ એટલે શું?
[ સ્વામીજી ના પુસ્તક શિવતત્વ નિર્દેશ માંથી આ પ્રકરણ લેવામાં આવ્યું છે. ]
પરમકલ્યાણનું નામ શિવ છે. પરમાત્મા માત્ર અસ્તિત્વરૂપ જ નથી પણ અનેકવિધ કરુણ તથા મંગલોથી પણ યુક્ત છે. વેદાન્ત તેને માત્ર અસ્તિત્વરૂપ જ માને છે, અસ્તિત્વ સિવાય તેમાં કોઈ ગુણ, શક્તિ, ક્રિયા વગેરે કાંઈ જ નથી. પરમાત્મા માત્ર અસ્તિત્વરૂપ જ હોય તો તેના હોવાથી કે ન હોવાથી કશો ફેર પડતો નથી, બલકે હોવા કરતાં ન હોવો વધુ સારો. એટલા માટે આવો પરમાત્મા એ પરમાત્મા નહિ, તેની ભ્રાંતિ માત્ર છે. ગીતાનો ભગવાન (બધાં શાસ્ત્રોનો પણ) અનંત ગુણોથી ભરપુર છે. તે બતાવવા તેનું નામ શિવ રાખ્યું, શંકર રાખ્યું છે. અર્થ બંને નો એક જ છે. એટલું યાદ રાખવાનું કે પ્રત્યેક ગુણ પણ દોષ બની જાય છ, જેમ વિવેક વિના અમૃત પણ ઝેર બની જાય છે. ઉદાહરણ તરીકે માનો કે કોઈ બહુ દયાળુ છે. તેનાથી જીવોની હિંસા જોઈ જતી નથી. જીવો માટે તેને પુષ્કળ દયા છે. દયા બહુ મોટો સદગુણ થયો, ધર્મનો આધાર થયો, પણ જો તેનો અતિરેક થાય અને વિવેક વિના વિનિયોગ થાય તો તે અનર્થ પણ કરાવે. આવા દયાળુ લોકોની દયાનો ખોટો લાભ ઉઠાવવા માટે કેટલાક કસાઈ લોકો જાની કરીને તેમની દુકાન આગળથી પાંચ-પચીસ બકરાં હાંકીને લઇ જાય, કતલખાને કતલ કરવા માટે. પેલી દયાળુ વ્યક્તિને દયાનો ઉભરો આવે, બકરાંને છોડાવવા માટે પેલા કસાઈને વિનવે, પછી રકમ આપવા તૈયાર થાય, છેવટે બમણા-ચારગણા પૈસા આપીને બકરાં છોડાવે. જીવો બચાવ્યાનો આંનદ માણે, ધર્મ કર્યાનો સંતોષ માને. પેલો કસાઈ ચારગણા નાણા લઈને રાજી થતો થતો વિદાય થાય, એ જ પૈસાથી બીજા દિવસે ચારગણા બકરાં લઇ આવે. હવે શું કરવું? આવા પ્રસંગે પૈસા આપીને છોડાવવા કરતાં ઉપેક્ષા કરવી વધુ વ્યવહારુ લાગે છે. માણસની નિષ્ઠા ગમે તેટલી ઉત્તમ હોય તોપણ તેના વ્યવહારિક પક્ષને ધ્યાનમાં રાખવો જ જોઈએ. એટલે પ્રત્યેક ગુણ ત્યારે જ સદગુણ બને છે, જયારે વિવેકપૂર્વક તેનો વિનિયોગ કરવામાં આવ્યો હોય. વિવેકપૂર્વકના વિનિયોગથી તો કામ-ક્રોધ-લોભાદિ દોષો પણ દોષ નહિ, ગુણ થઇ જાય છે. એટલે ભગવાન સર્વતોભાવથી શિવસ્વરૂપ છે તે બતાવવા તેમનું નામ શિવ રાખ્યું છે.
(more…)