શ્રીકૃષ્ણ એટલે શું? – ભાગ – ૩
અઘાસુર
એક અસુર કંસનો મોકલેલો આવે છે. તેનું નામ અઘાસુર. મહાપાપી, કૃષ્ણને મારી નાખવા માટે આવે છે. પણ કૃષ્ણ તેને જ મારી નાખે છે. અઘસુરનો અર્થ સમજ્યા? અઘ એટલે પાપ. પાપ પોતે મહાશત્રુ છે, મોટો અસુર છે. પાપ કદી નિર્દોષ ના હોય, નિર્ભય ના હોય, નિશ્ચિંત ના હોય. પાપી અંતે પોતાના જ પાપના ભારથી ડૂબે છે. જેને કોઈ નથી મારી શકતું તેને પાપ મારે છે. પાપનો ઘડો ભરાય એટલે ફૂટવાનો જ. પ્રતીકારહીન પાપ પાપીના પોરસને પાનો ચઢાવે છે. પ્રતીકારહીન પ્રજા જુલ્મો સહતી જાય, તેમ તેમ પાપીને નિર્ભયતાની અનુભૂતિ થતી જાય. આ નિર્ભયતા તેને સ્વચ્છંદી બનાવે , મર્યાદાહીન કાર્યો પ્રત્યે લલચાવે. અંતે તે અતિરેકોથી ભરપૂર જીવનમાં ફસાય, તણાય અને નાશ પામે. અઘાસુરરૂપી અજગર ગળી જાય.